[1] જે માતા-પિતા પોતાના સંતાનોને સારી કેળવણી નથી આપતાં-અપાવતાં, આવાં માતાપિતા જાતે જ એમનાં સંતાનોનાં દુશ્મન બને છે. આવાં સંતાનો જ્યારે સંસારનો ભાર ઉઠાવતાં થાય છે ત્યારે તેમને પોતાની ક્ષુદ્રતાનો અનુભવ થાય છે. આવાં લોકો જ્યારે કોઈ સારી અને પ્રગતિશીલ સભામાં જાય છે ત્યારે તેમને લાગે છે કે હંસોની સભામાં આપણે બગલા જેવા છીએ !
[2] મનુષ્યે હમેશાં આ વિચાર્યા કરવું જોઈએ કે – મારો સમય કેવો છે ? મારો મિત્ર કોણ છે ? મારો દેશ કયો છે ? હું કેવો છું ? મારું હિત શેમાં અને અહિત શેમાં છે ? મારામાં કેટલી બુદ્ધિ, કેટલી શક્તિ છે ? – આવો પ્રશ્ન વારંવાર એણે પોતાની જાતને પૂછ્યા કરવો જોઈએ.
[3] ફૂલમાં સુગંધ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી, શેરડીમાં ગોળ – આ રીતે મનુષ્યના મનમાં સુવિચારો સમાયેલા હોય છે. સારા માણસની પરીક્ષા એની બોલીથી, એના વિચારોથી અને એના વર્તનથી થાય છે.
[4] આવા લોકોથી સદાય દૂર રહો – જેણે અન્યાયથી ધન ભેગું કર્યું હોય, અભિમાનથી જેનું મસ્તક ભરેલું જ હોય, જેણે કદી દાન કર્યું નથી, જેને કાનોમાં વેદમંત્રો કે ધર્મમંત્રો પડ્યા નથી, જેનાં નેત્રોએ સત્પુરુષોનાં દર્શન કર્યા નથી. આવા મનુષ્યોને મળવાથી કોઈ લાભ તો નથી જ બલ્કે મનની શાંતિ ઓછી થઈ જાય છે.
[5] મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
[6] આ સંસારમાં સૌથી વધારે બળવાન કાળ છે. કાળ જ સંસારના પ્રાણીઓને ખાઈ જાય છે. તેની ભૂખ સંતોષાતી જ નથી, ખાયા જ કરે, ખાયા જ કરે છે. બધાનો નાશ થાય ત્યારે પણ કાળ તો હયાત હોય છે. કાળ હમેશાં જાગ્રત રહે છે, બધાને જગાડતો પણ રહે છે.
[7] લક્ષ્મીનો નિવાસ ક્યાં હોય છે ? – જ્યાં અન્ન ના ભંડાર ભરેલા રહે છે, જ્યાં પતિ-પત્નીમાં કલેશ-કંકાશ હોતો નથી, જ્યાં મૂર્ખની મહેમાનગીરી થતી નથી. કેવળ આવાં જ સ્થાનોમાં લક્ષ્મી નિવાસ કરે છે.
[8] કામવાસના આ સંસારનો સૌથી મોટો રોગ છે. તે મનુષ્યના શરીરને અંદર અંદરથી જ ખોખલું કરી નાખે છે. આનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ક્રોધ એ આ સંસારની ભયંકર આગનું નામ છે, તે ઈન્સાનનો વિનાશ કરે છે. જ્ઞાન જેની પાસે હોય તે હમેશાં સુખી રહે છે. સંસારનાં બધાં દુ:ખો જ્ઞાનથી દૂર ભાગે છે.
[9] વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, ખજાનચી, ચોકીદાર, બુદ્ધિમાન – આ લોકો જો સૂઈ રહે તો તેમને જગાડી દેવા જોઈએ. કારણકે વિદ્યાર્થી જો સૂઈ રહે તો તેનો અભ્યાસ નહીં થાય, નોકર સૂઈ રહેશે તો માલિક તેને કાઢી મૂકશે, ભૂખ્યો જો સૂઈ રહેશે તો પેટ માટે રોટીની શોધ કરવા કોણ જશે ? ખજાનચી કદી સૂઈ રહેશે તો ધન ચોરાઈ જશે. ચોકીદાર સૂઈ જશે તો પણ ચોરી થઈ જશે. એટલા માટે આવા લોકોને જગાડવ એ ઉચિત છે.
[10] ધુવડ દિવસે જોઈ શક્તું નથી તેમાં સૂર્યનો શો દોષ ? કેરડાના છોડ પર પાંદડા ઊગતાં નથી, ફૂલો થતાં નથી તેમાં ભલા વસંતનો શો દોષ. ચાતકના મોમાં વર્ષાનું એક ટીપું પડતું નથી તેથી ભલા વાદળોનો શો વાંક ? – અરે ભાઈ, વિધાતાએ આપણા નસીબમાં જે કંઈ લખી દીધું છે તે જ થઈને રહેશે. એને તો દુનિયાની કોઈ શક્તિ બદલી શકતી નથી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો